🔥 TRENDING Gujarat Ranks Fourth in Deceased Organ... BJP Wins Manjalpur Gujarat Gujarat Gets Battery Energy Storage Po... Karnataka Cabinet Expansion KRS Dam Water Level Surges Seamless Traffic Searched
04 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
દલખાણિયામાં પ્રાકૃતિક ખેતી વિષયક વિશેષ તાલીમ યોજાઈ
Agriculture

દલખાણિયામાં પ્રાકૃતિક ખેતી વિષયક વિશેષ તાલીમ યોજાઈ

✍️ Reporter: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 03 Aug 2026, 09:50 PM 👁 10
દલખાણિયામાં પ્રાકૃતિક ખેતી વિષયક વિશેષ તાલીમ યોજાઈ

GNFSUના કુલપતિ ડૉ. સી. કે. ટિંબડિયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના વૈજ્ઞાનિક અભિગમ અંગે માર્ગદર્શન આપ્યું

અમરેલી, તા.૩ ઓગસ્ટ, ૨૦૨૬
Bધારી તાલુકાના દલખાણિયા ગામ ખાતે શ્રી દલખાણિયા પગાર કેન્દ્ર શાળામાં ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી (GNFSU), હાલોલ સંલગ્ન કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ, અમરેલી દ્વારા ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતી વિષયક વિશેષ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દલખાણિયા તથા આસપાસના વિસ્તારોના ૧૫૦થી વધુ ખેડૂતો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.

કાર્યક્રમમાં ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. સી. કે. ટિંબડિયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું તત્ત્વજ્ઞાન, તેના વૈજ્ઞાનિક આધાર તેમજ વર્તમાન સમયમાં પ્રાકૃતિક ખેતીની આવશ્યકતા અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જીવામૃત, બીજામૃત, મિશ્ર પાક પદ્ધતિ, જીવાત અને રોગ નિયંત્રણ તથા દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીના મહત્વ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી જમીનની તંદુરસ્તી જાળવવા, ઉત્પાદન ખર્ચ ઘટાડવા અને ટકાઉ કૃષિ વ્યવસ્થા વિકસાવવા માટે અસરકારક છે.

કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ, અમરેલીના પ્રિન્સિપાલ ડૉ. એસ.પી.દેશમુખે પ્રાકૃતિક ખેતીના વિવિધ આયામો અંગે વૈજ્ઞાનિક માહિતી આપી હતી. સુડાવડ ગામના સરપંચ તથા પ્રગતિશીલ પ્રાકૃતિક ખેડૂત શ્રી પ્રવીણભાઈ આસોદરિયાએ પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનોના માર્કેટિંગ અંગે માર્ગદર્શન આપ્યું હતું.

કાર્યક્રમમાં દલખાણિયા ગામના અગ્રણી શ્રી કનુભાઈ સુખડિયા, મોટા ભંડારિયાના શ્રી જયસુખભાઈ કસવાલા, ધારી વન વિભાગના આર.એફ.ઓ. શ્રી રામાણી સહિત વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કોલેજના મદદનીશ પ્રાધ્યાપક ડૉ. કે. વી. મશાલિયા, શ્રી બી. ડી. મકવાણા, ખેતી અધિકારી શ્રી એચ. વી. વળિયા, ખેતી મદદનીશ શ્રી વી. એસ. ઠાકોર તથા શ્રી દલખાણિયા પગાર કેન્દ્ર શાળાના પ્રિન્સિપાલ શ્રી હેમલભાઈ જયસ્વાલે કાર્યક્રમના સફળ આયોજનમાં સહયોગ આપ્યો હતો.

કાર્યક્રમ દરમિયાન ખેડૂતો સાથે પ્રશ્નોત્તરી યોજાઈ હતી, જેમાં પ્રાકૃતિક ખેતી સંબંધિત વિવિધ પ્રશ્નોના સંતોષકારક જવાબો આપવામાં આવ્યા હતા. અંતે વંદે માતરમ ગાન સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.
📲Get App