રાજુલા નગરપાલિકાના નિવૃત્ત કર્મચારી અનોખી સેવા
રાજુલા નગરપાલિકાના નિવૃત્ત કર્મચારી અને અખબાર એજન્ટ બાલાભાઈએ સમયના સદઉપયોગની અનોખી મિસાલ કાયમ કરી છે. તેઓ છેલ્લા ઘણા વર્ષોથી શ્રાવણ મહિનાના પૂરા ૩૦ દિવસ સુધી નિયમિતપણે ૧૫૧ તાજા બીલીપત્ર જાતે તોડી લાવે છે. ત્યારબાદ તેના સ્વચ્છ પડીકા બનાવીને દરરોજ સાંજે શિવપૂજા અર્થે દુકાને-દુકાને અને ઘરે-ઘરે જઈને ભાવિકોને નિઃશુલ્ક પહોંચાડે છે. માત્ર શ્રાવણ માસ જ નહીં, પરંતુ બાર મહિનાની બાર શિવરાત્રી અને નવા વર્ષની દિવાળીના પાવન અવસરે પણ સાંજ સુધી તેઓ આ જ નિઃસ્વાર્થ ભાવે બીલીપત્ર પહોંચાડવાની સેવા પૂરી પાડે છે. નિવૃત્તિ બાદ પોતાની દિનચર્યાનો સાર્થક ઉપયોગ કરી શિવભક્તોને સરળતાથી પૂજાસામગ્રી મળી રહે તેવું સુંદર આયોજન કરી રહેલા બાલાભાઈની આ પરોપકારી અને નિષ્ઠાવાન સેવા રાજુલા શહેરમાં લોકચાહના મેળવી રહી છે.
લી. દેવશીભાઈ બાંભણિયા
લી. દેવશીભાઈ બાંભણિયા