🔥 TRENDING मुख्यमंत्री डॉ. प्रमोद सावंत ने कोठंबी... आकाशीय बिजली गिरने से 1 की मौत २०२६-२७ : नाशिक जिल्हा परिषदेचा नियतव्... ઈન્દ્રાડથી ટોરેન્ટ કંપની સુધીના માર્ગમ... Madhya Pradesh Spends Crores to Print... National Lok Adalat Clears 400,000 Cas...
14 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અમરેલી જિલ્લામાં ઊર્જા રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષસ્થાને સઘન સફાઈ, જળસંચય અને વૃક્ષારોપણ અભિયાનનો સંકલ્પબદ્ધ પ્રારંભ

✍️ Reporter: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 06 Sep 2026, 02:17 PM 👁 26
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમરેલી જિલ્લામાં ઊર્જા રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષસ્થાને સઘન સફાઈ, જળસંચય અને વૃક્ષારોપણ અભિયાનનો સંકલ્પબદ્ધ પ્રારંભ

અમરેલીના ઠેબી ડેમ કાંઠે મંત્રીશ્રી સહિત મહાનુભાવો, પદાધિકારીઓ, અધિકારીઓ અને નાગરિકોએ શ્રમદાન કર્યું


દરેક નાગરિક અઠવાડિયામાં એક કલાક સ્વચ્છતા, પર્યાવરણ અને જળસંવર્ધન માટે શ્રમદાન કરે - ઊર્જા રાજ્યમંત્રીશ્રી

જિલ્લાના ૧૧ તાલુકાઓમાં તાલુકા કક્ષાએ ત્રિવિધ કાર્યક્રમ સાથે અભિયાનનો પ્રારંભ

ઠેબી ડેમના પાળેથી ગાંડા બાવળ દૂર કરાયા; ‘સ્વચ્છ અમરેલી, હરિત અમરેલી’ના સંકલ્પ સાથે વૃક્ષારોપણ


અમરેલી, તા. ૦૬ સપ્ટેમ્બર, ૨૦૨૬
રાજ્ય સરકાર દ્વારા દર માસના પ્રથમ રવિવારે ‘સઘન સફાઈ અભિયાન’, ‘કેચ ધ રેઈન’ અંતર્ગત જળસંચયની કામગીરી તેમજ વૃક્ષારોપણ અને સુકાઈ ગયેલા રોપાઓની ફેરબદલી સહિત પાણી અને પર્યાવરણલક્ષી ત્રિવિધ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત અમરેલી જિલ્લામાં ઊર્જા અને કાયદો રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષસ્થાને સઘન સફાઈ, જળસંચય અને વૃક્ષારોપણ અભિયાનનો સંકલ્પબદ્ધ પ્રારંભ કરવામાં આવ્યો હતો.

અમરેલી શહેરના ઠેબી ડેમના કાંઠે યોજાયેલા કાર્યક્રમમાં ઊર્જા રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયા, જિલ્લા કલેક્ટરશ્રી વિકલ્પ ભારદ્વાજ, અમરેલી નગરપાલિકાના પ્રમુખશ્રી વૈશાલીબહેન માંરોળીયા સહિત જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના પદાધિકારીશ્રીઓ, જિલ્લા વહીવટીતંત્રના અધિકારીશ્રીઓ, વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓ અને નાગરિકોએ શ્રમદાન કરી સઘન સફાઈ હાથ ધરી હતી. ‘સ્વચ્છ અમરેલી, હરિત અમરેલી’ની નેમ સાથે હાથ ધરાયેલી આ ઝુંબેશ દરમિયાન ઠેબી ડેમના પાળે ઊગી નીકળેલા ગાંડા બાવળને યાંત્રિક સાધનોની મદદથી દૂર કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે ઊર્જા અને કાયદો રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘સ્વચ્છ ભારત અભિયાન’ના માધ્યમથી દેશવાસીઓને સ્વચ્છતાને જીવનશૈલીનો અભિન્ન હિસ્સો બનાવવા પ્રેરણા આપી છે. અમરેલીનો પ્રત્યેક નાગરિક અઠવાડિયામાં એક કલાક સ્વચ્છતા, પર્યાવરણ અને જળસંવર્ધન માટે શ્રમદાન કરે તેવી તેમણે અપીલ કરી હતી.

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, સ્વચ્છતા સાથે જળસંચય અને પર્યાવરણના જતન માટે વૃક્ષારોપણ પણ એટલું જ જરૂરી છે. ‘હરિત અમરેલી’ના સંકલ્પને સાકાર કરવા સૌએ વૃક્ષોના વાવેતર સાથે તેના જતનની જવાબદારી પણ નિભાવવી જોઈએ. આ સંકલ્પ સાથે કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલા દેશી કુળના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું.

રાજ્ય સરકારના આ ત્રિવિધ અભિયાનનો અમરેલી જિલ્લાના તમામ ૧૧ તાલુકાઓમાં પણ પ્રારંભ કરવામાં આવ્યો હતો. અમરેલી ખાતે ઊર્જા રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયા, ધારી ખાતે ધારાસભ્યશ્રી જે.વી. કાકડીયા અને સાવરકુંડલા ખાતે ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો. લાઠી, બાબરા, ખાંભા, રાજુલા, જાફરાબાદ, લીલીયા, બગસરા અને કુંકાવાવ તાલુકામાં તાલુકા પંચાયતના પ્રમુખશ્રીના અધ્યક્ષસ્થાને સઘન સફાઈ, જળસંચય અને વૃક્ષારોપણની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી.

અમરેલી ખાતેના કાર્યક્રમમાં શહેરમાં સ્વચ્છતા માટે કાર્યરત ‘ક્લિન-અપ અમરેલી’ સંસ્થાના સ્વયંસેવકો પણ ઉત્સાહભેર જોડાયા હતા. અમરેલી નગરપાલિકાના સફાઈ સેવકોની ટીમ દ્વારા સફાઈ બાદ એકત્ર થયેલા કચરાના યોગ્ય નિકાલની વ્યવસ્થા કરવામાં આવી હતી.

કાર્યક્રમમાં જિલ્લા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષશ્રી ડેનીભાઈ પરમાર, જિલ્લા પંચાયતના સભ્યશ્રી આશિષભાઈ અકબરી, તાલુકા પંચાયતના સભ્યશ્રી સુરેશભાઈ પાથર, નગરપાલિકાના સભ્યશ્રી અલકાબહેન ગોંડલિયા ઉપરાંત શ્રી અતુલભાઈ કાનાણી, શ્રી મયૂરભાઈ માંજરીયા, શ્રી મધુભાઈ હરખાણી, શ્રી વિજયભાઈ ચોટલીયા, શ્રી સંદીપભાઈ સોલંકી, શ્રી રેખા બહેન પરમાર, શ્રી જેેેેન્તી ભાઈ દેસાઈ. સહિત નગરપાલિકાના વિવિધ વોર્ડના સભ્યો, સ્થાનિક અગ્રણીઓ અને વિવિધ સંગઠનોના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

સુપર ન્યૂમરરી આસિસ્ટન્ટ કલેક્ટરશ્રી હર્ષિતા ગોયલ, અભિયાનના નોડલ અધિકારી અને નિવાસી અધિક કલેક્ટરશ્રી એ.એ.ડોડિયા, સહ નોડલ અધિકારી અને આંકડા અધિકારીશ્રી ડી.એ.ગોહિલ સહિત જિલ્લા વહીવટીતંત્રના અધિકારીશ્રીઓએ પણ શ્રમદાન કરી અભિયાનમાં સહભાગિતા નોંધાવી હતી.

રાજ્ય સરકારના આ ત્રિવિધ અભિયાન અંતર્ગત જિલ્લામાં દર માસના પ્રથમ રવિવારે સઘન સફાઈ, જળસંચય અને વૃક્ષારોપણની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે.
📲Get App