🔥 TRENDING Emraan Hashmi Returns in 'Awarapan 2'... Dhanda Nyoliwala Shares Exclusive BTS... The Times of India Releases Official T... Chief Minister Meets DG NCC in New Del... Vice President Radhakrishnan Commends... Minister Naidu Addresses Turbulence on...
06 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Agriculture

વિશ્વ આદિવાસી દિવસ વિશેષ-2026* *પ્રકૃતિના ખોળે જીવતાં દીર્ઘાયુ અને અનોખી નર્સરીનું સર્જન કરનાર અરવલ્લીના ગૌરવવંતા ડી.પી. અસારી* *ઔષધીય છોડ, અંબાની કલમો અને સાહિત્ય સર્જન દ્વારા પ્રકૃતિપ્રેમનું અદ્ભુત ઉદાહરણ*

✍️ Reporter: Pandor Sanjaybhai Bhalabhai 🗓 06 Aug 2026, 07:16 PM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે પ્રકૃતિ, સંસ્કૃતિ અને પરંપરાના સાચા જતનનો અનોખો અરીસો એટલે અરવલ્લી જિલ્લાના મૂળ મેઘરજ તાલુકાના વતની અને વન વિભાગમાંથી નિવૃત્ત થયેલા ઉચ્ચ અધિકારી ડી.પી. અસારી. આજના આ વિશેષ પર્વ પર આદિવાસી સમાજની ગરિમા અને પ્રકૃતિ સાથેના ગાઢ નાતાને ઉજાગર કરતા ડી.પી. અસારી સરકારી નોકરીની નિવૃત્તિ બાદ પોતાનો સમય નિષ્ક્રિયતામાં વિતાવવાને બદલે પ્રકૃતિની સેવામાં સમર્પિત કરી ચૂક્યા છે. જુદા-જુદા જંગલ વિસ્તારોમાં સેવા આપતી વખતે મેળવેલા તેમના દીર્ઘ અનુભવોનો નિચોડ આજે તેમના નિવાસ્થાને જોવા મળે છે, જ્યાં તેમણે કુદરતી વાતાવરણમાં છોડ ઉછેરવાની એક અનોખી પ્રથા વિકસાવી છે.

વિશ્વ આદિવાસી દિવસે વન વિભાગના લાંબા અનુભવના આધારે તેઓ જણાવે છે કે, આદિવાસી સમુદાય મૂળભૂત રીતે પ્રકૃતિના ખોળે જીવનારી પ્રજા છે. જંગલની વચ્ચે, ખુલ્લા આકાશ નીચે અને શુદ્ધ ઓક્સિજનયુક્ત કુદરતી વાતાવરણમાં સતત શારીરિક શ્રમ સાથે કાર્યશીલ રહેવાને કારણે આદિવાસીઓ ખૂબ જ લાંબુ અને નિરોગી આયુષ્ય ભોગવે છે. આધુનિક ભાગદોડ ભરેલી જીવનશૈલીથી દૂર રહીને કુદરત સાથે તાલમેલ સાધીને જીવવું એ જ દીર્ઘાયુ અને તંદુરસ્તીનું અસલી રહસ્ય છે, જે તેમણે પોતાના વન વિભાગના કાર્યકાળ દરમિયાન ખૂબ નજીકથી અનુભવ્યું છે.

વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીને સાર્થક કરતા પોતાના ઘરે જ ડી.પી. અસારીએ એક અત્યંત સુંદર અને સમૃદ્ધ નર્સરી બનાવી છે. આ નર્સરીમાં તેઓ મોટા પ્રમાણમાં કેરીની વિવિધ જાતોની અંબાઓની કલમો, અનેક પ્રકારની મૂલ્યવાન ઔષધિઓ તેમજ રંગબેરંગી ફૂલછોડનું કુદરતી પદ્ધતિથી જતન કરે છે. વનસ્પતિશાસ્ત્ર અને જંગલ પર્યાવરણ અંગેનું તેમનું ઊંડાણપૂર્વકનું જ્ઞાન આ છોડના ઉછેરમાં સ્પષ્ટ નજરે પડે છે. આસપાસના લોકો માટે તેમની આ નર્સરી પ્રકૃતિ સંવર્ધનની એક જીવતીજાગતી પાઠશાળા સમાન બની રહી છે.
માત્ર વૃક્ષો અને છોડના ઉછેર પૂરતા જ નહીં, પરંતુ આદિવાસી સંસ્કૃતિના સાહિત્ય ક્ષેત્રે પણ તેમનું પ્રદાન બેજોડ રહ્યું છે. ડી.પી. અસારીએ આદિવાસી સંસ્કૃતિ, ઇતિહાસ, રીતિરિવાજો અને જીવનશૈલીને ઉજાગર કરતા અંદાજે 13 જેટલા અલગ-અલગ પુસ્તકોનું લેખન કર્યું છે. આ પુસ્તકોમાં તેમણે આદિવાસી સમાજના મૂલ્યો અને પ્રકૃતિ પ્રત્યેના તેમના અનન્ય લગાવને ખૂબ જ સચોટ રીતે વાચકો સમક્ષ મૂક્યા છે.

આદિવાસી હોવાનો અનહદ ગર્વ અનુભવતા અને પોતાની માટી સાથે જોડાયેલા રહીને નિવૃત્તિનું સાર્થક જીવન જીવતા ડી.પી. અસારી આજની યુવાપીઢી માટે એક સાચા પ્રેર્રોત બન્યા છે. આદિવાસી દિવસે પ્રકૃતિની રક્ષા અને પર્યાવરણ પ્રત્યેની તેમની નિષ્ઠા સમગ્ર અરવલ્લી પંથક તેમજ ગુજરાત રાજ્ય માટે ગૌરવવંતી સાબિત થઈ રહી છે.
📲Get App