🔥 TRENDING Ujjain: Three arrested under NSA for d... MP High Court Slams Bhopal Police Over... MP BJP Chief Khandelwal Completes One... Jabalpur: Gang Targeting Empty Apartme... Two Youths Die in Indore Accident Near... Ujjain Hindu Groups Protest Apple's Si...
02 Jul 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
જેતપુર સિવિલ હોસ્પિટલની નવી બિલ્ડિંગનું કામ અધ્ધરતાલ: કરોડોના ખર્ચે મંજૂરી મળ્યા બાદ પણ કામ શરૂ ન થતાં . મામલતદારને અપાયું આવેદન પત્ર
Health

જેતપુર સિવિલ હોસ્પિટલની નવી બિલ્ડિંગનું કામ અધ્ધરતાલ: કરોડોના ખર્ચે મંજૂરી મળ્યા બાદ પણ કામ શરૂ ન થતાં . મામલતદારને અપાયું આવેદન પત્ર

✍️ Reporter: Chauhan sanjaybhai 🗓 01 Jul 2026, 03:00 PM 👁 94

ડોક્ટરોની ખાલી જગ્યાઓ અને હોસ્પિટલની કથળતી સ્થિતિ:

જેતપુર શહેર અને તાલુકાના નાગરિકો માટે સરકારી આરોગ્ય સેવાઓનું મુખ્ય કેન્દ્ર ગણાતી સિવિલ હોસ્પિટલ હાલ અનેક પ્રાથમિક સુવિધાઓ અને વહીવટી વિલંબનો સામનો કરી રહી છે. આ ગંભીર મુદ્દાઓ અને હોસ્પિટલના નવા બિલ્ડિંગના અટકેલા કામ અંગે રાજકોટ જિલ્લા યુવક કોંગ્રેસ સમિતિ દ્વારા જેતપુર મામલતદારને એક સત્તાવાર આવેદન પત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી છે.
કોંગ્રેસ દ્વારા રજૂ કરાયેલા આવેદન પત્રની વિગતો અનુસાર, વર્ષ ૨૦૨૨-૨૦૨૩ દરમિયાન જેતપુર ખાતે સિવિલ હોસ્પિટલની નવી સુવિધા સભર બિલ્ડિંગ માટે કરોડો રૂપિયાનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો. આ મંજૂરીને લાંબો સમય વીતી ગયો હોવા છતાં, હજુ સુધી જૂની બિલ્ડિંગને તોડી પાડવાનું (ડિમોલેશન) કામ પણ શરૂ થઈ શક્યું નથી. બીજી તરફ, બાજુના જ ઉપલેટા તાલુકામાં સિવિલ હોસ્પિટલની કામગીરી પૂર્ણતાના આરે પહોંચી ગઈ છે, ત્યારે જેતપુરમાં આ વિલંબ પાછળ જવાબદાર તંત્ર અને પી.આઈ.યુ. (Project Implementation Unit) શાખાની વહીવટી ક્ષમતા સામે સવાલો ઊભા થઈ રહ્યા છે.
સ્થાનિક હોસ્પિટલમાં સારવાર માટે આવતા સામાન્ય અને ગરીબ દર્દીઓને પડતી મુશ્કેલીઓનો ચિતાર આપતા આવેદનમાં જણાવવામાં આવ્યું છે કે:
૧. હોસ્પિટલમાં હાલ મેડિકલ ઓફિસરની ૩ મહત્વની જગ્યાઓ ખાલી છે.
૨. ગાયનેકોલોજિસ્ટ (સ્ત્રી રોગ નિષ્ણાત) અને ફિઝિશિયન ડોક્ટરની જગ્યાઓ પણ ખાલી હોવાથી દર્દીઓને ખાનગી હોસ્પિટલો તરફ જવું પડે છે.
૩. એન.સી.ડી. મેડિકલ ઓફિસર અને સોનોગ્રાફીના ડોક્ટર ઉપલબ્ધ નથી.
૪. હોસ્પિટલના ઓ.પી.ડી. (OPD) વિભાગમાં દર્દીઓ માટે પૂરતી જગ્યા નથી, જેના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે.
૫. સિક્યુરિટી ગાર્ડની અછત અને હોસ્પિટલના એન્ટ્રન્સ પાસે ટુ-વ્હીલરના આડેધડ પાર્કિંગને કારણે ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાય છે, જે ઘણીવાર ઇમરજન્સી એમ્બ્યુલન્સની અવરજવરમાં પણ અવરોધ બને છે.
આવેદન પત્રમાં યુવક કોંગ્રેસના મહામંત્રી અનીકેત બાવીસા અને સંગઠન દ્વારા આક્ષેપ કરાયો છે કે રાજકોટ શાખામાં ૬ મહિના પહેલા આ બાબતે ટેલિફોનિક રજૂઆત કરવામાં આવી હોવા છતાં અધિકારીઓ દ્વારા કોઈ સંતોષકારક જવાબ કે પગલાં લેવામાં આવ્યા નથી.
આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રજૂઆતકર્તાઓ દ્વારા ચીમકી આપવામાં આવી છે કે જો આગામી 30 દિવસની અંદર આ તમામ વહીવટી અને આરોગ્યલક્ષી પ્રશ્નોનો યોગ્ય નિકાલ કરવામાં નહીં આવે, તો કોંગ્રેસ દ્વારા તંત્ર સામે ઉગ્ર ભૂખ હડતાલ શરૂ કરવામાં આવશે. આ આવેદન પત્રની નકલ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા, સાંસદ મનસુખભાઈ માંડવીયા અને સ્થાનિક ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાને પણ યોગ્ય કાર્યવાહી અર્થે મોકલી આપવામાં આવી છે.