🔥 TRENDING રાજુલામાં બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય... ધારી નજીક ખોડીયાર મંદિર પાસે સાત સિંહો... Fatal accident during Rakhi visit repo... 40-year-old killed in road accident in... 7 dead, 10 injured as private bus coll... Bollywood Hungama releases 19-photo ga...
28 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

કુંકાવાવ તાલુકાના માર્ગોને રૂ. 4.50 કરોડની વિકાસ ભેટ : અમરેલી-કુંકાવાવ-વડીયાના ધારાસભ્ય અને મંત્રીશ્રી કૌશિક વેકરીયાના પ્રયાસોને વધુ એક સફળતા

✍️ Reporter: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 28 Aug 2026, 02:26 PM 👁 1
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
કુંકાવાવ તાલુકાના માર્ગોને રૂ. 4.50 કરોડની વિકાસ ભેટ : અમરેલી-કુંકાવાવ-વડીયાના ધારાસભ્ય અને મંત્રીશ્રી કૌશિક વેકરીયાના પ્રયાસોને વધુ એક સફળતા.
કુંકાવાવ તાલુકાના વિવિધ વિસ્તારોમાં માર્ગ સુવિધા, માર્ગ સલામતી અને વરસાદી પાણીના અસરકારક નિકાલ અંગે સ્થાનિક નાગરિકોની જરૂરિયાતોને ધ્યાને લઈ અમરેલી-કુંકાવાવ-વડીયાના ધારાસભ્ય અને મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરિયાએ કરેલી સતત રજૂઆતો ને સફળતા મળી છે. રાજ્ય સરકાર દ્વારા કુંકાવાવ તાલુકાના મુખ્ય માર્ગો સાથે જોડાયેલા કુલ રૂ. 4.50 કરોડના ત્રણ મહત્વપૂર્ણ વિકાસકામોને મંજૂરી આપવામાં આવી છે.
ચોકી–ખાખરીયા રોડ ખાતે નવા પાઇપ ડ્રેઇન તેમજ જરૂરી સ્ટ્રક્ચર રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવશે. અંદાજિત રૂ. ૫૫ લાખના ખર્ચે થનારી આ કામગીરી માર્ગની સલામતીની દૃષ્ટિએ મહત્વપૂર્ણ છે. ચોકી–ખાખરીયા માર્ગ કુંકાવાવ તાલુકાને વડિયા તથા જેતપુર તાલુકા સાથે જોડતો મહત્વનો માર્ગ છે. આ કામગીરી પૂર્ણ થતાં મોટા ઉજળા, અનિડા, સૂર્યાપ્રતાપગઢ, ખાખરીયા સહિતના વિસ્તારોના વાહનચાલકોને વધુ સુરક્ષિત અને સુગમ માર્ગ સુવિધા મળશે.
તે ઉપરાંત, ગોંડલ–દેરડી–કુંકાવાવ–બગસરા–ધારી–તુલશીશ્યામ રોડ પર હાલના જૂના બ્રિજના સ્થાને 10 મીટર પહોળાઈ ધરાવતા નવા આર.સી.સી. બ્રિજનું નિર્માણ કરવામાં આવશે. સાથે જરૂરી સ્ટ્રક્ચર રિપેરિંગની કામગીરી પણ હાથ ધરાશે. અંદાજિત રૂ. 3.35 કરોડના ખર્ચે થનારી આ કામગીરીથી કુંકાવાવ તથા વાવડી રોડ સહિતના વિસ્તારોના નાગરિકોને નોંધપાત્ર લાભ મળશે. કુંકાવાવ તાલુકાને ગોંડલ તાલુકા સાથે જોડતો આ મહત્વપૂર્ણ માર્ગ હોવાથી નવા બ્રિજના નિર્માણથી વાહનવ્યવહાર વધુ સલામત, સરળ અને સુગમ બનશે.
આ સાથે, મોટી કુંકાવાવ–નાની કુંકાવાવ–લુણીધાર રોડ પર નવા પાઇપ ડ્રેઇનનું નિર્માણ કરવામાં આવશે. અંદાજિત રૂ. ૬૦ લાખનાં ખર્ચે થનારી આ કામગીરીથી વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા વધુ અસરકારક બનશે તેમજ માર્ગને પાણીના કારણે થતા નુકસાનથી બચાવવામાં મદદ મળશે. આ કામગીરીથી મોટી કુંકાવાવ, નાની કુંકાવાવ, જંગર, કોલડા તથા આસપાસના વિસ્તારોના નાગરિકોને લાભ મળશે.
આ ત્રણેય વિકાસકામો પૂર્ણ થયા બાદ કુંકાવાવ તાલુકાના વિવિધ વિસ્તારોમાં માર્ગ સલામતી, વરસાદી પાણીના નિકાલ, પુલ તથા સ્ટ્રક્ચરની મજબૂતી અને વાહનવ્યવહારની સુવિધામાં નોંધપાત્ર સુધારો થશે. આ કામગીરીઓ ગ્રામ્ય વિસ્તારોના સર્વાંગી વિકાસને વેગ આપવાની સાથે સ્થાનિક નાગરિકોની લાંબા સમયથી ચાલી આવતી માર્ગલક્ષી જરૂરિયાતોનું નિરાકરણ લાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.
મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરિયાએ જણાવ્યું હતું કે, “નવો RCC બ્રિજ, નવા પાઇપ ડ્રેઇન અને જરૂરી સ્ટ્રક્ચર રિપેરિંગ જેવી કામગીરીથી માત્ર માર્ગોની મજબૂતી વધશે એટલું જ નહીં, પરંતુ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સલામત વાહનવ્યવહાર, સારી કનેક્ટિવિટી અને ચોમાસા દરમિયાન અસરકારક પાણીના નિકાલની સુવિધા પણ વધુ મજબૂત બનશે. સ્થાનિક નાગરિકોની જરૂરિયાતને વિકાસના કામમાં પરિવર્તિત કરવી એ આ સરકારની પ્રાથમિકતા છે.”
આ પ્રસંગે કૌશિકભાઇ વેકરીયાએ માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી સાહેબનો આભાર વ્યક્ત કર્યો હતો.
📲Get App