🔥 TRENDING Mirzapur Stars Gather for Trailer Laun... Mirzapur: The Movie Trailer Drops – Pa... Uttarakhand Brothers Return Home After... Uttarakhand Sports University Sees 260... Overloaded Bus Seized Haryana Aims For TB-Free Status
13 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Education

તંત્ર પાસે શિક્ષકો નથી, સમાજસેવક આગળ આવ્યો! જાળીયાના બાળકો માટે 2 મહિના પગાર આપવાની જાહેરાત

✍️ Reporter: Makvana Jaydip 🗓 07 Aug 2026, 06:00 PM 👁 27
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
જાળીયા પ્રાથમિક શાળામાં શિક્ષકોની અછત સામે વાલીઓનો આક્રોશ, શાળામાં તાળાબંધી બાદ આંદોલન હાલ પૂરતું સમેટાયું

ગારિયાધાર તાલુકાના જાળીયા ગામની પ્રાથમિક શાળામાં 173 વિદ્યાર્થીઓ સામે મંજૂર મહેકમના 8 શિક્ષકોની જગ્યાએ માત્ર 2 શિક્ષકો કાર્યરત હોવાના આક્ષેપ સાથે વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

શાળામાં શિક્ષકોની અછતના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પડી રહી હોવાના આક્ષેપ સાથે વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા શાળામાં તાળાબંધી કરવામાં આવી હતી. ત્યારબાદ વાલીઓ તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી ખાતે રૂબરૂ પહોંચ્યા હતા અને શિક્ષકોની તાત્કાલિક વ્યવસ્થા કરવા માટે આવેદનપત્ર આપ્યું હતું.

વહીવટી તંત્ર દ્વારા આગામી સમયમાં શિક્ષકોની ફાળવણી કરવામાં આવશે ત્યારે સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી. જોકે, મામલતદાર કચેરી ખાતે પહોંચેલા વિદ્યાર્થીઓ અને વાલીઓ તાત્કાલિક ઉકેલની માંગ સાથે ત્યાંથી હટવા તૈયાર નહોતા.

પરિસ્થિતિ વધુ ન વણસે તે માટે PI રબારી સાહેબ પોલીસ સ્ટાફ સાથે મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા અને વાલીઓને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ મામલતદાર ઝાલા સાહેબની હાજરીમાં વાલીઓ સાથે લાંબી બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન શાળાની શિક્ષણ વ્યવસ્થાને લઈને ગંભીરતાપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી.

હાલ તાત્કાલિક ધોરણે પૂરતો શિક્ષક સ્ટાફ ફાળવી શકાય તેવી સ્થિતિ ન હોવાથી બેઠકમાં હાજર સામાજિક કાર્યકર્તા દીપકભાઈ ખુંટે વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે આગામી બે મહિના સુધી સ્નાતક થયેલા શિક્ષકોની વ્યવસ્થા કરવાનો અને તેમનો પગાર પોતે ચૂકવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ ખાતરી બાદ વાલીઓ દ્વારા આંદોલન હાલ પૂરતું સમેટવામાં આવ્યું છે.

સામાજિક કાર્યકર્તા દીપકભાઈ ખુંટ દ્વારા ગારિયાધારની નગરપાલિકા સંચાલિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોના પગાર માટે પણ સહયોગ આપવામાં આવી રહ્યો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ સમગ્ર ઘટનાએ એક મહત્વનો સવાલ ઉભો કર્યો છે—સરકારી શાળાના વિદ્યાર્થીઓને પૂરતા અને ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે જરૂરી શિક્ષકો ઉપલબ્ધ કરાવવાની જવાબદારી આખરે કોની?

વાલીઓ અને ગ્રામજનોની માંગ છે કે તાત્કાલિક ધોરણે જાળીયા પ્રાથમિક શાળામાં પૂરતો શિક્ષક સ્ટાફ ફાળવવામાં આવે, જેથી 173 વિદ્યાર્થીઓના અભ્યાસને વધુ અસર ન થાય.

હવે જોવાનું એ રહેશે કે તંત્ર દ્વારા શિક્ષકોની કાયમી વ્યવસ્થા ક્યારે કરવામાં આવે છે અને જાળીયા ગામના વિદ્યાર્થીઓને પૂરતો શિક્ષક સ્ટાફ ક્યારે મળે છે.
📲Get App